આંસુ

વ્યથાનાં તેં આપ્યાં જો ચોધાર આંસુ,
ખુશીનાં ય આપી જો બે-ચાર આંસુ.

વિચાર્યું છે રડનાર !રડતાં પહેલાં
જશે ક્યાં બિચારાં નિરાધાર આંસુ?

જરા વાત માટે કાં હદપાર કીધાં ?
નથી એટલાં તો ગુનેગાર આંસુ!

સમય કેવો આવ્યો,બધાં છોડી ચાલ્યાં ?
બનીને રહ્યાં એક વફાદાર આંસુ.

ખુશી યા ગમી ઉદ્ભવે છે હૃદયમાં,
તો આપે છે પહેલા સમાચાર આંસુ.

નથી કાંઈ કહેવાની ‘નાઝિર!’જરૂરત,
બતાવે છે તારો જીવનસાર આંસુ.

(સૂનાં સદન )

કાતિલને પણ આરામ છે

દિલને પણ આરામ છે,કાતિલને પણ આરામ છે,
રાત પણ વીતી ગઈ, મ્હેફિલને પણ આરામ છે.

એક પંથી કાજ કોલાહલ હતો ચારે તરફ,
એ અવલ મંઝિલ ગયો,મંઝિલને પણ આરામ છે.

તેજ લોનારાં ય વિખરાયાં,બળી ગઈ વાટ જ્યાં,
તેલ પણ ખૂટી ગયું, કંદિલને પણ આરામ છે.

શાંત સાગર થઈ ગયો,મોજાંનું માતમ પણ શમ્યું,
નાવ પણ ડૂબી ગઈ,સાહિલને પણ આરામ છે.

ભૂખ-તરસથી જ્યારે આ ‘નાઝિર’નો છૂટકારો થયો,
ત્યારથી આઠે પ્રહર મુશ્કિલને પણ આરામ છે.

-સૂનાં સદન

સંભવ

લોહી છે નસેનસમાં, ત્યાં લગી સગાઈ છે,
ત્યાં લગી જ વૈભવ છે,
એ બધું જશે ત્યારે કોઈ ના સગું થાશે,
કંઇકનો અનુભવ છે.

મોંએ ખૂબ મીઠાં છે, આમ તો રૂપાળાં છે,
માત્ર મનનાં મેલાં છે,
એટલે તો લાગે છે નિત્ય એ કમળ જેવાં,
પેટમાંહે કાદવ છે.

એમને પિછાણું છું, રોજ એને માણું છું,
એમની જ સંગાથે,
ઓળખાણ આપી દઉં, એ જ મારા દુશ્મન છે,
જેઓ મારા બાંધવ છે.

શ્વાસ જ્યારે ઘૂંટાશે, જીવ જ્યારે ગભરાશે,
આંખે ઓછું દેખાશે,
હાથ આડા દેશે ના સાહ્યબી તને ‘નાઝિર!’,
જેનું તુજને ગૌરવ છે.

દર્શ એનાં થઈ જાશે એક પળ કે બે પળમાં,
જોઈ લેજે ‘નાઝિર’ તું,
આવવાનો મંદિરમાં,આજ એનો દિવસ છે,
એવો થોડો સંભવ છે.

લાજ રાખી છે


અમે એવી રીતે કપરા સમયની લાજ રાખી છે,
સદા હસતું વદન રાખી વિજયની લાજ રાખી છે.

કોઈને જાણ પણ થાવા નથી દીધી ય હાલતની,
કે તારું ઓઢણું ઓઢી પ્રણયની લાજ રાખી છે.

સદાયે મૌન સેવીને દીધી છે તક હરીફોને,
અમે ખુદ અસ્ત પામીને ઉદયની લાજ રાખી છે.

બીજાની દેખતાં મુજને તમે વાર્યો એ સારું છે,
તમે નિજ મનને મારીને પ્રણયની લાજ રાખી છે
.

અજાણ્યા થઈ અને પૂછ્યું : ‘થયું શું આજ ‘નાઝિર’ને ?’
બીજાની વાત છેડીને વિષયની લાજ રાખી છે.

પડ્યો જેવો સમય ‘નાઝિર’ અમે એવી રીતે વર્ત્યા,
અમે રાખીને મોટું મન સમયની લાજ રાખી છે.

રસ્તાના લોક

ચણભણ ચણભણ વાત કરે છે શાની મુજ લત્તાના લોક?
તાકી તાકી કેમ જુએ છે મુજને સૌ રસ્તાના લોક?

કાં તો લાગે છે કે મુજ ભૂતકાળની વાતો ચાલે છે,
કાં તો મુજને લાગે છે મુજ કાળની વાતો ચાલે છે ,
લાવ જઈને પૂછી લઉં કે શું કે’છે દુનિયાના લોક ?

વાત બની શી સાંભળવાને હું ચાલ્યો લોકો પાસે,
શત્રુ-સ્નેહી ,વ્હાલાં-દવલાં સૌ આવ્યાં અધ્ધર શ્વાસે,
પગ મૂકયો જ્યાં ફળિયામાં મેં ઘેરી વળ્યા ફળિયાના લોક .

વાતમાં કંઈયે માલ નથી ને અમથી રાડો પાડે છે,
બીજાનું સુખ જોઈ શકે ના,એથી ત્રાડો પાડે છે,
પેટમાં દુ:ખે છે ને માથું કૂટે છે અમથાના લોક.

ચારે દિશ મેં નજર કરી પણ કારણ કંઈ ના દેખાયું,
નીરખી-નીરખી જોયાં સૌને ‘નાઝિર’,ત્યારે સમજાયું,
આ તો છે અફવાવાળાઓ ભાડૂતી પૈસાના લોક .

  • ‘નાઝિર’ દેખૈયા

(‘નાઝિર’નું અમુક સર્જન પ્રકાશિત થયું નથી. હાલમાં એમના પુત્ર અફઝલહુસેન (મારા પિતા ) એ અને નાઝિરના શિષ્ય સ્વ. રાહી ઓધારિયાએ દાદાના મૃત્યુ બાદ એમની રચનાઓ એક ડાયરીમાં નોંધી રાખેલી એમાંથી આ રચના પ્રકાશિત કરું છું.એમણે ગીતો અને હઝલો પણ લખ્યાં છે.)

सलाम केहना

IMG-20160822-WA0028

 

चांद उनको पहेला मेरा सलाम केहना

जिर मुजपे जो बीती है बातें तमाम केहना

 

बेदर्द जमाने ने बेहद सताया फिर भी

कुछ भी की शिकायत इतना कलाम केहना

 

गुलशन ,वो यहां के मेरा पता जो पूछे,

उसने उठा लिया है अपना मकाम केहना

 

छोडा है दम वफा में , देना गवाही जर्रों,

था सुबह शाम लब पर तेरा ही नाम केहना

 

जाते हो वतन नाझिर‘,गर यार मिले मेरा

मैं खुश हुं ,दुआ करना, इतना पयाम देना

 

ભૂલ થઈ ગઈ છે

cropped-dsc01050.jpg

 

 

 

 

 

બંદગાની કબુલ થઈ ગઈ છે

જિંદગાની વસૂલ થઈ ગઈ છે

 

આપને શોધવા જનારાની

આખી દુનિયા જ ડૂલ થઈ ગઈ છે

 

જે વીતી ગઈ તમારી યાદોમાં

એ પળો તો અમૂલ થઈ ગઈ છે

 

મિલનની માગણી કરી બેઠો

આદમી છું હું, ભૂલ થઈ ગઈ છે

 

ભાર એવો ઉતાર્યો ‘નાઝિર’નો

જિંદગી હળવી ફૂલ થઈ ગઈ છે.